દોઢ લાખ મૂર્તિનાં ઘડવૈયા
મુંબઈ સમાચાર, Friday, September 09, 2011, www.bombaysamachar.com
આંખે પાટા બાંધીને ગણેશમૂર્તિનું સર્જન કરનાર રમા શાહના નામથી હવે મુંબઈગરા ખાસ્સા પરિચિત છે. ૨૦૧૦ સુધીમાં ગણપતિની સવાલાખ મૂર્તિઓ બનાવ્યા પછી આ વર્ષે બીજી ૨૫,૦૦૦ મૂર્તિઓ બનાવીને તેમણે નવો રેકોર્ડ સર્જ્યો છે. આ વર્ષે તેમને હેન્ડમેડ ગણપતિ બનાવવા માટે ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ નું સર્ટિફિકેટ મળ્યું છે અને તેમને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં પણ સ્થાન મળ્યું છે.
‘‘મૂર્તિ બનાવવા માટે શંખ, કટિંગ કરેલા માર્બલના સ્ટોન, મુર્જાગેટ નામનો નેચરલ પથ્થર, વેસ્ટેજ વૂડનું કટિંગ જેવી ચીજોનો હું ઉપયોગ કરું છું. મને વૃક્ષ નીચે બેઠેલા, ગાય પાસે ઊભેલા ગણપતિ બનાવવાનું ખૂબ મન થાય છે, પરંતુ આવી મૂર્તિ આખા દિવસ દરમ્યિાન એક જ બને છે અને આ વર્ષે મારેે દોઢ લાખ મૂર્તિઓ બનાવવી જ હતી માટે આવી મૂર્તિઓ બનાવવાનું ટાળ્યું હતું.’’ કહે છે રમા શાહ.
તેઓ મૂર્તિઓમાં વપરાયેલા મટિરિયલના જ પૈસા લે છે, મૂર્તિ બનાવવાના નહીં, ભક્તો પોતાની ઈચ્છા અને શ્રધ્ધા મુજબ રૂપિયા મૂકી જાય છે. એક નાની મૂર્તિ બનાવવા માટે ૨૫ રૂપિયાનો ખર્ચ આવે છે અને આ ભંડોળમાં આવેલા પૈસાનો ઉપયોગ તેઓ ફક્ત મૂર્તિઓ બનાવવા જ કરે છે.
મૂર્તિ બનાવતી વખતે તેઓ ભગવાનની પ્રાર્થના અને શ્લોક બોલે છે. ૨૦૦૦ ની સાલથી આ મૂર્તિઓ કોઈ પણ બીબા વગર હાથથી બનાવે છે અને ગણપતિજીની આ મૂર્તિ અનબ્રેકેબલ અને વોશેબલ હોય છે.
તેઓ ઉમેરે છે કે તેમના ગણપતિ લઈ જનારાનાં બધાં જ કાર્યો પૂરા થાય છે એ જાણીને મને વધારે ખુશી થાય! નારીરત્ન એવોર્ડથી સન્માનિત રમા શાહ ખરેખર જ ગણેશજીને સમર્પિત છે અને એ શ્રધ્ધા જ તેમને વધુને વધુ મૂર્તિ બનાવવા પ્રેરે છે.